અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને,
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને.
હોઇશ કઈ દશામાં – મને પણ ખબર નથી,
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને.
ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં,
તારી નજરના સ્પર્શથી શણગારજે મને.
ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી,
આંસુ બનાવી આંખથી તું સારજે મને.
સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને,
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને.
તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને.
તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે,
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને.
– ભગવતીકુમાર શર્મા
Comments
Post a Comment