ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે, 
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને, 
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું, 
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં!
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે 

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં, 
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે?

- જવાહર બક્ષી

Comments