ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
કહેવાતી ‘હા’થી નીકળે ‘ના’નો યે ભાવ પણ,
માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ.
કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.
ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.
– કૈલાસ પંડિત
Comments
Post a Comment